કેટલાક શુકન-અપશુકન જે આપણા સમાજમાં ભ્રાંત (ખોટી)
રીતે સ્થિર થઇ ગયા છે
તેની સાચી સમજણ
:
=========================================
૧. શનિવારે માથામાં તેલ ન
નખાય.
=====================
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો
દિવસ જાહેર થયો હતો. આથી માથુ
ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ
ધોવાનું હોય તો માથામાં
બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ
કાઢી શકાય. કારણ કે
એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા.
માટે લોકો
સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ’નો ડર
બતાવી
કોઈને કાબુમાં લેવાનું સરળ
હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો
વાર હોવાથી માત્ર
હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાં તેલ નાંખવાનું નહિ.
એ
જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ
કપાવવા માટે
રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની
પાછળ કોઈ વિજ્ઞાન નથી.
રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ
કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું
રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન
જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ
કરવો પડે. આથી આગલા દિવસે
શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી
સ્ફૂર્તિથી
કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.
૨. કોઈ બહાર જતું
હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ
પૂછવાનું.
===================================
ઘણાં પરિવારોમાં તો આ
રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ
બાળક, ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી
લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ
નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે
કોઈના અંગત મામલામાં વધુ
પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન–અપશુકન
જેવું કંઈ હોતું નથી.
૩. બિલાડી આડી ઉતરે છે.
===============
આવા
અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ? માણસ બિલાડીને
આડો ઉતરે ને
એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે
સવારે મેં કોનો
ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’ અરીસામાં જ
જોયું હોય ને ભાઈ તેં !
ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘કોઈ મને ગાળ દઈ
રહ્યું છે.’ હેડકી આવે અથવા
ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ
યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો
સિવાય
તને કોઈ યાદ કરે એમ નથી !
૪. એક છીંક આવે તો ‘ના’ અને બે છીંક આવે
તો ‘હા’
==============================
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય
બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ
જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું.
બે છીંક આવે તો તમારા કાર્યને
કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી
કરવાનું. મારો એક મિત્ર તો
પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો
જમણી બાજુ વાળી લે.
આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?
૫. ઉલ્ટા
પડેલા ચંપલ
=============
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે
બુટ ઉંધુ પડેલું જોવા મળે
તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો
બિનજવાબદાર ગણાય
કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી.
આ ઘટનાને
અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય
કે
પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ
રીતે
કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી
જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ
છે જે વ્યક્તિને પ્રેમથી
સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે
આર્થિક નુક્શાનના
ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે
લાગલું જ
‘લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.
૬. શુભ પ્રસંગે વિધવાને આગળ ન
રખાય.
========================
વિધવા સ્ત્રીએ પોતાનો પતિ ગુમાવ્યો હોય
છે આથી શક્ય છે કે એને હજી એનું
દુ:ખ હોય. હવે એ સંસારીઓના લગ્ન જેવા શુભ
પ્રસંગોમાં જોડાય અને એને
પોતાના લગ્નજીવનના દિવસોની યાદ આવે અને એનું દુ:ખ વધી
જાય તો એ સ્ત્રીને
જ વધુ તકલીફ થાય. આથી જુના કાળના વડીલો પ્રેમથી ઘરની એ
સ્ત્રીને કહેતા
હશે કે ‘બેટા, ઘરે શુભ પ્રસંગ છે. તું સ્વસ્થ રહી શકે તો કોઈ
વાંધો નથી.
પરંતુ તારી મન:સ્થિતિ ડામાડોળ થતી
હોય તો બહેતર છે કે તું આ
બધામાં ઈંવોલ્વ ન થાય.’ ત્યારે ઘરની વહુ અથવા
દિકરી કહેતી હશે કે ‘હું પાછળ
રહીને દુરથી પ્રસંગને જોઈશ. સ્વસ્થ રહેવાશે
તો વાંધો નહિ અન્યથા અંદર ચાલી જઈશ.’
પતિમૃત્યુની ઘટનાને વર્ષો વીતી ગયા
હોય ને સંપૂર્ણ દુ:ખમુક્ત થઈ હોય એવી મોટી
ઉમ્મરની સ્ત્રી શુભપ્રસંગે કોઈ
રીતે અપશુકનિયાળ નથી.
૭. મુહૂર્ત
જોવડાવવામાં આવે છે.
==================
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન
સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા
હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું
જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય.
અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને
સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ,
રાજ્યાભિષેક, લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય
છે. એની પાછળનું રહસ્ય
પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક
પણ લગ્નનું
મુહૂર્ત હોતું નથી. કારણ
શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે,
તીર્થયાત્રીઓ ચાર માસ સુધી
પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે. વસંતપંચમી તેમજ
અખાત્રીજનું વણજોયું
મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ
ખીલેલી હોય છે.
કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો
બધો નબળો થઈ
જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ,
રમતવીરો,
ફિલ્મસર્જકો, હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે.
અમુક
જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના
નામના
સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો
વાગે
એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે
જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું,
નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે
મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ?
જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ.
એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના
ધંધામાં ક્યારેય મંદિ
આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે
નબળા માણસો
સમાજમાં હોવાના જ !
આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર
આધારિત રહેતો નથી. પોતાના
બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે. ‘ન કરતો
ભાગ્યની પરવા હું ખુદ
એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં
છું. અલબત્ત
માત્ર આત્મવિશ્વાસુ માણસ રાક્ષસ થવાનો સંભવ ખરો. આથી
આત્મવિશ્વાસની
સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ
સંભવ
છે.
૭. આજે મારે ઉપવાસ છે.
===============
સોમ, ગુરુ અને
શનિવાર તેમજ એકાદશીનો ઉપવાસ ઘણા કરે છે. ઉપવાસ એટલે ઉપ +
વાસ = ‘ઉપ’ એટલે નજીક
અને ‘વાસ’ એટલે બેસવું. ઉપવાસ એટલે પ્રભુની નજીક,
સદવિચારોની નજીક બેસવું અર્થાત
સત્સંગ કરવો. અને આ કામને પૂરો સમય આપી
શકાય એ માટે ખાવા-પીવા જેવી દૈનિક
ક્રિયાઓ એ દિવસ પુરતી બંધ રાખવી. આપણે
ત્યાં થાય છે શું કે રોજ કરતા વધુ સમય
ખાવા-પીવાની ચીજો પાછળ આપવામાં આવે
છે. કારણ કે ઉપવાસમાં ફળાહારી
(ફરાળી)
એટલે કે જુદી ને નવી વાનગીઓ બનાવવાની. અગિયારસ એટલે અગિયાર રસ,
વધુ સ્વાદ
માણવાના !
ફરાળી ભોજનનો એટલો બધો અતિરેક થયો છે કે શાસ્ત્રોનો આધાર ટાંકીને
કહેવાય
છે કે માતૃગમન ક્ષમ્ય છે પરંતુ એકાદશીના દિવસે અન્ન ખાવું એ ક્ષમ્ય
નથી.
ઘણા કહે છે તમે ફળ ઉપરાંત શાક પણ ખાઈ શકો, ગુજરાતીઓ કહે છે તમે
ગાજરનો
હલવો ખાઈ શકો પરંતુ દુધીનો હલવો ન ખાઈ શકો. તો મરાઠીઓ એનાથી ઊંધુ કહે
છે,
તમે દુધીહલવો ખાઈ શકો પરંતુ ગાજરનો હલવો ન ખાઈ શકો. હવે આ બધી
બાબતોને
અધ્યાત્મ સાથે, પ્રભુસ્મરણ
સાથે, સત્સંગ સાથે શું સંબંધ
?
કેટલા ભોગવાદીઓ કહે છે ઉપવાસ એટલે હોજરીને આરામ આપવાનો દિવસ.
જેથી
સ્વાસ્થ્ય સારું રહે ને તબિયત સારી હોય તો વધુ લાંબુ જીવાય, વધુ
ભોગો
ભોગવી શકાય.
ઉપવાસ તુટે એટલે અપશુકન થયા સમજો. ભગવાન નારાજ થઈ જાય
અને આપણને સજા કરી
દે. એની સજામાંથી બચવું હોય તો ખરા હૃદયથી એની માફી માગવાની !
સજ્જન
પિતાને કોઈ દિકરો ગુંડો સમજે તો એ પિતાને કેટલું બધું દુ:ખ થાય !
ભગવાન
આપણને અત્યંત પ્રેમ કરે છે અને આપણે ડરીને એને ભજતા હોઈશું તો એ
પોતાનું
કપાળ કુટતો હશે, પોતાના દિકરા આવા અક્કરમી થયા બદલ !