eating ભેજું
હમણાં
એક લિંક વાંચી જેમાં લખેલું હતું કે મેંદુવડા, ઉત્તપમ, સમોસા-કચોરી,
મેંદાની બ્રેડ ને બટર, બિસ્કિટ, વડાપાંઉ, ફાફડાજલેબી જેવા સવાર સવારમાં
ભારતમાં બ્રેકફાસ્ટસ સેહત કે લિયે હાનિકારક હૈ. બરાબર છે, હજુ તો જામ,
બટાકાપૌઆ, લોચો, હાંડવો, ખાખરા, ચેવડો, આલુપરોઠા, પુડલા અંગે સંશોધન નથી
થયું. અને આપણા શિરામણની ઝાઝા મોણવાળી ભાખરી કે રોટલો ને માખણ-ગોળને એ બધું
ય 'રિસર્ચવા'નું બાકી છે. અને આમલેટ, બર્ગર, ચીઝ કે સેન્ડવિચ કે
સિરિયલ્સનું ફોરેનમા થયું હોય છે. એની વે, સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચેનો
સંઘર્ષ બાજુએ મુકીએ - મારે તો એ કહેવું છે કે, બ્રેકફાસ્ટની જ કોઈ જરૂર
નથી ! ઘણી બાબતોની જેમ આ ડોકટરોએ ભેજાંમાં ઘુસાડી દીધેલું તૂત છે, આદત છે.
બાકી, બ્રેકફાસ્ટની જરૂર એને પડે જેણે સવારમાં ચિક્કાર કસરત કરવાની હોય,
ખેતરે જઈને પાણી વાળવાનું હોય, ધિંગાણે જઈ લડવાનું હોય, બપોરે ખાધા વિના
એકધારું રખડવાનું હોય. સવારમાં ઉઠીને શ્રમના નામે વોટ્સએપ મેસેજ ચેક
કરનારી, પછી ઓફિસે કે વર્કપ્લેસે કે સ્કુલ-કોલેજે એસી કે પંખામાં કલાકો
સુધી ગોઠવાઈ જનારી અને સાવ જરાતરા ચાલનારી અને પાછું બપોરે હેવી લંચ તેલમા જ
વઘારેલા શાક-દાળ અને મિષ્ટાન્ન સાથે લેનારી પ્રજા માટે બ્રેકફાસ્ટ નથી.
મને ખબર છે, હજાર સર્વે ને સંશોધન છે, જે મેટાબોલીઝમ બ્રેકફાસ્ટ ના લેવાથી
ખરાબે ચડી જાય ને એસિડીટી થાય ને પાચન પર અસર થાય ને એવું બધું કહે છે. પણ
હું દાયકાઓથી બ્રેકફાસ્ટ લેતો જ નથી. પરાણે ક્યાંક બહાર કરવો પડે, કોઈક
જગ્યાનો વખણાય એ કુતૂહલ હોય અને ફોરેનમાં કે એમ ફરતા હો જ્યાં ફરવા માટે
લંચ સ્કિપ કરવાનું હોય એ સિવાય નહિ. મને તો કોઈ બ્રેકફાસ્ટ માટે બોલાવે અને
બીજી ખાસ અગત્યની વાત ના હોય તો સખ્ખત ચીડ ચડે. કારણ કે, એનું માન રાખવા
હું જે ઘરે ય નથી ખાતો એ પરાણે પેટમાં ઠૂંસીને સવારના પહોરમાં અહક નોતરવું
પડે. ઘણી વાર તો મારી રઝળપાટને લીધે સવારે ઉઠીને સીધું કામે / પ્રવચને
વળગવાનું હોય. મોટે ભાગે બહાર હોઉં તો અડધો ગ્લાસ દૂધ અને એકાદ સીઝનલ ફ્રુટ
કે એનો ફ્રેશ જ્યુસ. જાંબુ, દાડમ, કેરી, ટેટી, ચીકૂ, સફરજન, પોપૈયું,
પાઈનેપલ, અંગૂર, ચેરી, સ્ટ્રોબેરી, કેળા, સીતાફળ, ગાજર કંઈ પણ. મારી
તબિયતમાં પ્રોબ્લેમ થયા જ છે અને સારી એવી બગડી પણ છે પણ એના કારણો કાં તો
જેનેટિક નીકળ્યા છે, કાં તો તો ઇન્ફેકશન / એલર્જી એવા બધા. કોઈ નિષ્ણાત
છાતી ઠોકીને એમ કહી નથી શક્યો કે તમે નિયમિત બ્રેકફાસ્ટ નથી લેતા માટે આ
સમસ્યા છે, ને લેશો એટલે ગાયબ થઇ જશે.બ્રેકફાસ્ટ લેનારા કંઈ બધા અજરઅમર
નથી. બ્રેકફાસ્ટ ના લેનારા અને નોર્મલ કામ કરનારા કેટલા હેલ્ધી છે , એના
વિષે કોઈ સર્વેક્ષણો જ થતાં નથી. કાઉન્ટરવ્યૂ છે જ નહિ, એટલે દુનિયા આખી એક
અભિપ્રાય અપાયો એને ઊંધુ ઘાલીને 'મનમાં ભાવે એ જ વૈદ બતાવે' એવી સગવડ થઇ
જતા ફોલો કરે છે. સાવ જ ખાલી પેટ સાત -આઠ કલાકો સુધી રખાય નહિ, પણ એ માટે
બ્રેકફાસ્ટ સજાવવો રોજેરોજ, એ સમય -અન્નનો બિનજરૂરી બગાડ મને તો લાગે .
એટલામાં ચાર છાપા પર નજર ફરી જાય. બ્રેકફાસ્ટ મેં કહ્યું એમ પરીસ્થિતિ મુજબ
લો બાકી એકાદ ફ્રુટ / ખાંડ વગરનો તાજો જ્યુસ અથવા પ્લેઈન મિલ્ક ઘણું થયું.
અને રોજ તો એ ય નહિ. એમાં કોઈ ચક્કર ખાઈને પડી જતું નથી સિવાય કે અતિ
શ્રમનું કામ કરવાનું હોય.ઓલમોસ્ટ સેન્ચુરી સુધી એક્ટીવ લાઈફ હરતા ફરતા
વાંચતા જીવી ગયેલા સ્વ. રમણલાલ સોની કહેતા - ના ખાવાથી કોઈ મરી જતું નથી,
પણ આડેધડ કે રોજ વધુ પડતું ખાવાથી જરૂર મરી જાય છે !