રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદામણિ એક જ્ઞાની મહિલા હતાં. મહિલાઓનો વિશાળ વર્ગ તેમની પાસે જ્ઞાન મેળવવા આવતો હતો. તેમની ચર્ચાઓનું સ્તર પણ ઘણું ઊંચું રહેતું હતું. તેઓ હોશિયાર હોવાની સાથે ઉદાર વ્યક્તિત્વવાળા, સરળ હૃદય અને ખુલ્લા વિચાર ધરાવતા મહિલા હતાં. તેઓ મહિલાઓ માટે જ એક અલગ સત્સંગનું આયોજન કરતાં હતાં, જેમાં મોટી સંખ્યામાં ભકત મહિલાઓ હાજર રહેતી હતી. તેમના સત્સંગમાં આવવા માટે દરેક વર્ગની મહિલાઓને છૂટ હતી.
એક દિવસ એક વેશ્યા પણ આ સત્સંગમાં આવી. તેને સત્સંગ ઘણો સારો લાગ્યો અને પછી તે દરરોજ સત્સંગમાં આવવા લાગી. થોડા સમયમાં તેની ઓળખ ખુલ્લી પડી ગઈ. હકીકત જાણ્યા બાદ મહિલાઓએ તેની હાજરી પર વાંધો ઉઠાવ્યો અને તેને સત્સંગમાં ન આવવા માટે શારદામણિને આગ્રહ કરવા લાગી.
શારદામણિએ ત્યારે મહિલાઓને પ્રેમથી સમજાવ્યું કે સત્સંગ તો ગંગા છે. તેમાં માછલીઓ, દેડકા તથા અન્ય જીવ-જંતુ રહે છે, પરંતુ તેનાથી ગંગા અપવિત્ર થતી નથી. ગંગામાં સ્નાન કરવાથી પાપી પણ પવિત્ર થઈ જાય છે. તો પછી વેશ્યાના આવવાથી સત્સંગ અપવિત્ર કેવી રીતે થઈ જાય? મહિલાઓને ગળે આ વાત ઊતરી ગઈ અને પછી સત્સંગ દરમિયાન તેઓ વેશ્યાને પણ સન્માન આપવા લાગી. કથાનો સાર એ છે કે પવિત્રતાનું ધોરણ વ્યવસાયથી નક્કી થતું નથી, કેમ કે કેટલીક વખત સંજોગોને વશ થઈને વ્યક્તિને કોઈ એવો વ્યવસાય પણ સ્વીકારવો પડે છે. પવિત્રતાને આચારવિચારના ધોરણોથી આંકવી જોઈએ, વ્યવસાયથી નહીં.
---------------------------------------------------------------------------------------------