સિતાંશુ યશશ્ચંદ્ર (૧૯૪૧) સમર્થ કવિ, નાટયકાર અને સમીક્ષક છે. સને ૨૦૦૯માં એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘વખાર’ આર.આર. દ્વારા પ્રગટ થયો છે. સંગ્રહ સાથે કાવ્યપઠનની સીડી પણ પ્રગટ થઇ છે. સિતાંશુ પોતે કવિતાપાઠ કરતા હોય ત્યારે છેલ્લા શ્રોતા સુધી એમનો શબ્દ પહોંચતો હોય છે. સ્વર-વ્યંજનનું લયાત્મક ઉચ્ચારણ નવ કવિઓ એમની પાસેથી શીખી શકે.
અગાઉ પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહો ‘ઓડિસ્યુસનું હલેસું’ (૧૯૭૪) અને ‘જટાયુ’ (૧૯૮૬) વીસમી સદીની છેલ્લી પચીસીની ઉપલબ્ધિ ગણાયા છે. દીઘર્ કાવ્યોમાં વ્યાપ સાથે સૂક્ષ્મતાથી જીવનની આંટી-ઘૂંટીને જોવાની સિતાંશુની ક્ષમતા અનન્ય છે. નવા ઉન્મેશ દાખવે છે.
‘વખાર’નાં કાવ્યોને કવિએ સાત ઘટકોમાં વહેંચ્યાં છે. જે કંઇ જીવનવિરોધી ગરબડ ચાલી રહી છે એની સામે કવિનો અવાજ અહીં બે રીતે સંભળાય છે. ઠંડે કલેજે કરેલા શાંત ઉપહાસ દ્વારા કે (૨) ઉગ્ર આક્રોશ રૂપે. કવિ જાણે કે રણભેરી જગવે છે. ઘણા સહૃદયોને કંઠસ્થ થઇ ગયેલી ‘સિંહવાહિની સ્તોત્ર’ની આ પંકિતઓ જુઓ-સાંભળો.
મયૂર પરથી ઊતર,
શારદા, સિંહ ઉપર ચઢ.
દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ.
સહૃદય ભાવકને જગવવો છે આજના અન્યાયી, ખંડિત શિક્ષણ વિરુદ્ધ, એ માટે કવિ આધાર શોધે છે શતપથ બ્રાહ્મણની એક કથાનો. અંગિરસ ઋષિએ દેવો-દાનવો સમેત સહુને યજ્ઞભાગ આપ્યો, માત્ર સરસ્વતીને નહીં. સરસ્વતીએ સિંહ ઉપર બેસીને દેવો અને દાનવોને પરાજય આપ્યો.
આ સંદર્ભ સાથે વાંચતાં કવિતા વધુ આસ્વાદ બનશે. સિતાંશુ જણતલ કવિ છે – ‘સ્કોલર પોએટ’ છે, કવિઓના કવિ છે, ભલે એ કેટલાક કવિઓને અઘરા લાગે. જોકે ‘લડત’ અને ‘તાપણું’ જેવી સરલ અને સાધંત જીવંત રચનાઓ અહીં ઘણી છે.
ફરી પેટાવો તાપણું,પોષની આ રીતને
એમ પડકાર્યા વિના નથી જીવતા દેવી.
(પૃ.૧૨ લડત, વખાર)
પોષની રાતને પડકારતું સામાન્ય મનુષ્યનું તાપણું પ્રતીક છે કે રૂપક છે એની ગડભાંજમાં પડ્યા વિના તાપણાની શક્યતા અને ક્ષમતા માણી શકાય છે.
વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ
વાગી ઊઠશે કુમકે આવતા
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે
ફાગણની હોળીના હૂંફાળા ભડકા,
મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે
ઊના ઊના ભોજનની છાતી ભરીને સોડમ.(પૃ.૧૫)
આખું વરસ, જીવન સમગ્રના ભાવ-અભાવ અંકિત કરતાં કવિ ‘ઊના ઊના ભોજનની છાતી ભરીને સોડમ’ ભાવકના શ્વાસ સુધી લઇ આવે છે. કવિના શબ્દની આ તાકાત છે. નરસિંહની મશાલને કવિ ખભાની ઉપર સહજપણ સળગી ઊઠતા હાથરૂપે જુએ છે :
માથા કરતાંય મથોડું ઊચો ઊઠતો
નાચતા નરસૈંયાનો અણનમ હાથ.
પણ પોષની આ રાત
ને નથી જીવતા દેવી આજ…
સિંતાંશુની સંપ્રજ્ઞ સર્જન-પ્રક્રિયા ગુજરાતી કવિતાને અને નરસિંહ – અખા-ન્હાનાલાલ, ઉમાશંકર-રાજેન્દ્ર શાહ -નિરંજનની કાવ્યભાષાને કેવી રીતે સતેજ કરે છે એ વિવેચનનો વિષય છે. પણ ‘સપાટબયાની’ કહેવાતી સાદીસીધી ઉકિતઓ પણ અહીં માર્મિક બની છે.
અવતરણની જેમ યાદ રહી જાય એવી નીવડી છે. ‘અગનદેવ’ને સંબોધીને રચાયેલું દીર્ઘકાવ્ય ‘નામુકર’ અને મહાભારતના મૌસલપર્વનો આધાર લઇ યાદવવંશના સંહાર પછી મુસળનો ટેકો લઇને ઊભેલા મહાબાહુ મધુસૂદનની ધ્રુવપંકિત સાથે ‘સપાટબયાની’ લાગતી દીઘર્ રચના ત્રણેય કાળને એક કરીને આજના ભાવકને ચેતવે છે.
બીજા ખંડની રચનાઓ દાંપત્યના તાણાવાણાને ઝંકત કરે છે. અદ્વૈતનો ભાવ ‘એક વિનંતી’ કાવ્યમાં ગીતની ભાવાન્વિતિ સાથે વ્યકત થયો છે.
મને થોડા મહિના સંતાઇ રહેવા દે
તારા શરીરમાં
કોઇ પૂછે તો તું સુમધુર સ્મિત કરજે.
(પૃ.૪૬)
કવિ અહીં નારીની કાયાને આવકારભરી અને અનુલ્લંઘનીય કહી માતૃત્વની સિદ્ધિને સ્મિતરૂપે નિર્દેશે છે.
આ વિભંગની એક અન્ય રચના પૂર્વે અન્ય ભાષાઓમાં અનુવાદ પામેલી. ‘પત્નીને’ સંબોધીને રચાયેલી ત્રણ કૃતિઓ જીવન સંધિનું તાજગીભર્યું ચિત્ર નગણ્ય લાગતી ક્રિયાઓના નિરૂપણથી પ્રત્યક્ષ થયું છે.
સોય-દોરો લે, મારું ખમીસ સાંધવાનું છે.
બારી પાસે નેતરની ખુરશીમાં બેસ,
તારા અરીઠે ધોયેલા વાળમાં
સવારનો તડકો પડે, એમ.
આંખો બીડી તને જોઇ શકું, એ રીતે બેસ.
(પૃ.૩૩)
પાંચમા ખંડમાં સર્જકો વિશે કાવ્યો છે. એમાં પણ કવિ સામાજિક હેતુ વણી લે છે. બોલકા બન્યા વિના. ‘લાભશંકર ઠાકરની કવિતા’નો આરંભ એ છે :
ચઢેલા શરીરને જેમ દાકતર અડકે,
એમ તું અમારા મનને અડક કવિ.
કાવ્યનો અંત છે :
બેભાન અને મરણાસન્ન છીએ,
અમને ભાનમાં લાવ.
અને જિવાડ કવિ.(પૃ.૮૪)
માણસે પોતે ઊભા કરેલા પ્રશ્નોથી એ મરણોન્મુખ બન્યો છે. સિતાંશુ અને લા.ઠા.ની જેમ પ્રત્યેક સંનિષ્ઠ સર્જકનું કામ માનવ-ચેતનાને સંકોરવાનું છે.‘
કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
નવલિકા, નવલકથા તેમ જ નિબંધસર્જનમાં આ લેખિકા ભાવનાવાદી અભિગમ ધરાવે છે. માનવજીવનના શ્યામ-ધવલ પાસાંઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં થતું રહ્યું છે. તેમના નિબંધો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંવાદ-વિસંવાદની આસપાસના વિષયોને આલેખે છે. ‘પરોઢ થતાં પહેલાં’ પહેલી નવલકથાથી ધ્યાન ખેંચનાર લેખિકાની સૌથી વધુ ચર્ચાયેલી નવલકથા છે, ‘સાત પગલા આકાશમાં’. પોતાની નિજી-આગવી ઓળખ માટે નારીએ કરવો પડતો સંઘર્ષ, એમાંથી જન્મતી વિદ્રોહની લાગણી અને અંતે સ્ત્રી-પુરુષ સમાન ભૂમિકાએ હોય એવા નવા વિશ્વની શોધ – એવા વિશાળ ફલક પર નવલકથા આકારાયેલી છે.
સુરેશ હરિપ્રસાદ જોશી (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી.જે. સિંઘ કોલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧થી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.
સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગના પુરસ્કર્તા છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, લલિત ગદ્ય, વિવેચન અને સાહિત્યિક પત્રકારત્વ જેવાં સઘળાં ક્ષેત્રોમાં નવા પ્રસ્થાનો આરંભનાર સુરેશ જોશીના સાહિત્યવિચારમાં રૂપનિર્મિતિ એક અતિ મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે વિવિધ સાહિત્યિક સામયિકો દ્વારા આધુનિકતાની વિભાવનાની સ્થાપના અને મીમાંસા કરી છે. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના સંસ્પર્શથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ કરતા એમના લલિતનિબંધો, ઘટનાને ઓગાળી નાખી, કપોળકલ્પિતને પ્રયોજતી એમની ટૂંકી વાર્તાઓ, અરૂઢ રચનારીતિ ધરાવતી નવલકથાઓ, અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ, આધુનિકતાવાદી વલણો પરત્વે અભિમુખ બનાવતું એમનું તત્ત્વદર્શી વિવેચન – આ બધાં યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો આદર્શ તાગવા પ્રયત્ન કર્યો અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો.
રાજેન્દ્ર કેશવલાલ શાહ, ‘રામ વૃંદાવની’ (૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. શાળા શિક્ષણ દરમ્યાન અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં અને ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી ૧૯૪૨ સુધી જ્યોતિસંઘમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ૧૯૯૯માં મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, તેમ જ નરસિંહ મહેતા ગૌરવ પુરસ્કાર. ૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત.
અનુગાંધી યુગના સ્તંભ સમા પ્રતિભાશાળી કવિ છે. એમનો કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. એમની કવિતામાં પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક – કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ – અલંકારલય – પ્રાસાદિનું સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આદ્યાત્મભાવ એમની કવુતાના મુખ્ય વિષયો છે. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે
રામનારાયણ પાઠક:‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (જન્મ ૮-૪-૧૮૮૭), (અવસાન ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.
રામનારાયણ પાઠકનું આખું નામ
રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું., તેમનો જન્મ ગણોલ,ધોળકા તાલુકો,અમદાવાદ જિલ્લો,ગુજરાત રાજ્ય,ભારત દેશમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતાજી શિક્ષક હતા.તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. તેમનો જીવ વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે
પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે
દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ
સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
બહુમાન
પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકની સાહિત્ય ક્ષેત્રે તેમના મૂલ્યવાન યોગદાન બદલ તેમને અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
- નર્મદ સુવર્ણચંદ્રક
- મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક
- હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક
આ ઉપરાંત ગાંધીયુગ તેમ જ સાક્ષરયુગના સાક્ષી એવા શ્રી પાઠકજી ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે વિશાળ શિષ્યવર્ગનો અપાર પ્રેમ અને આદર પામ્યા.
અવસાન
૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ના દિને ગુજરાતના આ પનોતા પુત્ર એવા પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
મહાદેવભાઇ દેસાઇ (૧લી જાન્યુઆરી ૧૮૯૨ – ૧૫મી ઓગસ્ટ ૧૯૪૨)સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ લેખક હતા.તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.