- લક્ષ્મી અને ધનને એક જ માની લેવામાં આવે છે, પણ હકીકતમાં આવું નથી
ચેતન ભગતલેખક અંગ્રેજીના પ્રખ્યાત યુવાન નવલકથાકાર છે.
ભ્રષ્ટાચારથી પૈસા કમાઈ શકાય છે, લક્ષ્મી નહીં. લક્ષ્મી સંપત્તિ છે, જેને ઇમાનદારી અને નૈતિકતાથી કમાઈ શકાય છે. શાંતિ વગર સંપત્તિની કોઈ કિંમત નથી.
આ દિવાળીએ ધનની નહીં લક્ષ્મી માટે પ્રાર્થના કરો. ભ્રષ્ટોની દિવાળીની પાર્ટીઓ ભલે ગમે તેટલી ભવ્ય હોય, લક્ષ્મી તેમના ઘરે ક્યારેય નહીં આવે.
દિવાળી પર ધન-સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, આથી મને લાગે છે કે આપણા સમાજમાં સંપત્તિની સ્થિતિ પર કેટલીક વાતો કહેવી જોઈએ. હું લક્ષ્મી અને ધનનું અંતર પણ બતાવવા માગું છું. આ બંનેને એક સરખા માની લેવામાં આવે છે, પરંતુ એમ નથી.
હું તાજેતરની એક ઘટનાથી મારી વાતની શરૂઆત કરવા માગું છું. ગયા અઠવાડિયે હું પ્રખ્યાત અમેરિકન નિર્દેશક ઓલિવર સ્ટોન દ્વારા સંચાલિત એક કાર્યક્રમમાં હાજર હતો. આ કાર્યક્રમ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આયોજિત થયો હતો. ઓલિવર હોલિવૂડ સિનેમાની જીવંત દંતકથા છે અને તેમણે લગભગ ચાલીસ વર્ષ લાંબા ફિલ્મી કેરિયરમાં વિવિધ વિષયો પર ફિલ્મો બનાવી છે. તેમની એક ચર્ચિત ફિલ્મ છે ‘વોલ સ્ટ્રીટ’ (૧૯૮૪), જેની સિકવલ તાજેતરમાં જ રિલીઝ થઈ છે.
ફિલ્મમાં માઈકલ ડગ્લાસે ગોર્ડન ગેક્કોની ભૂમિકા નિભાવી હતી. એક ચાલક, અનૈતિક પરંતુ આકર્ષક ફાઈનાન્સર. ગોર્ડન ગેક્કો અમેરિકન સિને ઈતિહાસના સૌથી યાદગાર પાત્રોમાંનું એક છે. ફિલ્મમાં ગેક્કોનો આ સંવાદ અત્યંત લોકપ્રિય થયો હતો : ‘ગ્રીડ ઈઝ ગુડ’ (લાલચમાં બુરાઈ નથી).
એને મારું નસીબ કહેવાય કે હું ઓલિવરને મળ્યો. મેં તેમને પૂછ્યું કે ગોર્ડન ગેક્કો આટલા લોકપ્રિય કેમ છે? ઓલિવરે તેનો એકદમ સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ‘ગેક્કો એટલા માટે લોકપ્રિય છે કેમ કે તેઓ સફળ અને પૈસાદાર છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે તેમની પદ્ધતિ અનૈતિક છે, કે તે સ્વાર્થી અને લાલચુ માણસ છે. ૮૦ના દાયકામાં અમેરિકનોનું ધ્યાન ભૌતિક સંપત્તિ પર એટલું કેન્દ્રિત હતું કે તેમને ‘ગ્રીડ ઇઝ ગુડ’ જેવા એક્સૂત્ર વાક્યની જરૂર હતી, જે તેમની લાલચને ન્યાયોચિત ઠેરવી શકે.
આ દિવાળીના પ્રસંગે, જ્યારે આપણે લક્ષ્મીપૂજા કરીશું, ત્યારે આપણે પણ એ આત્મમંથન કરવું જોઈએ કે ક્યાંક આપણે પણ ધીમે-ધીમે આવા નથી બની રહ્યા ને? નહીંતર આપણા રાજનેતાઓ તેવા લોકોને જ શા માટે લૂંટતા જે તેમને મત આપીને વિજયી બનાવે છે? શા માટે તેઓ પોતાના ખિસ્સામાં કરોડો રૂપિયા ભરી રહ્યા છે, જ્યારે તેઓ જાણે છે કે આટલા પૈસા તેઓ પોતાના જીવનકાળમાં પણ ખર્ચી નહીં શકે? અંતે કોઈ સેના અધિકારી પેલા ફ્લેટને શા માટે હજમ કરી જવા માગે છે, જે કોઇ સૈનિકની વિધવા માટે હતો? અંતે શા માટે આપણા દેશના ભણેલા-ગણેલા, ચતુર, ઇજજતદાર સનદી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે?
જવાબ એકદમ સરળ છે : પૈસા. કે પછી બીજા શબ્દોમાં આપણા સમાજમાં પૈસાનો વધતો પ્રભાવ. મને ખોટો ના સમજતા. પૈસા અત્યંત જરૂરી છે. ગરીબીની જેમ એક પ્રકારનો રોગ છે અને આજના સમયમાં સન્માન સાથે જીવન ગુજારવા માટે એક ચોક્કસ પ્રમાણમાં ભૌતિક સંપત્તિ હોવી જરૂરી છે. પરંતુ હંમેશાં જોવા મળ્યું છે કે લોકોને ફક્ત આટલી વસ્તુઓ માટે જ પૈસાની જરૂર નથી હોતી. આપણા નેતાઓ અને સરકારી અધિકારીઓ કેટલાંક અન્ય કારણોને લીધે પણ નાણાંની ચોરી કરવા માટે પ્રેરાતા હોય છે. હું તેમના અંગે કંઈક વાત કરવા માગું છું.
પ્રથમ કારણ એ છે કે પૈસાથી સામાજિક હેસિયત પ્રાપ્ત થાય છે. તમારું ઘર જેટલું મોટું હશે, તમારી પાર્ટીઓ જેટલી શાનદાર હશે, તમારી સામાજિક હેસિયતમાં તેટલો જ વધારો થશે. વધુમાં વધુ ભૌતિક વસ્તુઓ બજારમાં આવવાને કારણે આ માન્યતાને બળ મળ્યું છે. આપણા ઘરમાં જે અખબાર આવે છે, તે મોંઘી ચીજ-વસ્તુઓની જાહેરાતથી ભરેલાં હોય છે, જેમને ખરીદવી આપણા જીવનનો સૌથી મહત્વનો હેતુ બની જાય છે. આપણને સૌથી પૈસાદાર લોકો અને સૌથી મોંઘા કરની યાદી વાંચવામાં આનંદ મળે છે. ટીવીમાં મોંઘાં લગ્નો પર વિશેષ કાર્યક્રમ બતાવવામાં આવે છે.
આજની એ સ્થિતિ છે કે મોંઘાં ઘરેણાં અને જોડાં પહેરનારી અને ડિઝાઇનર બેગ રાખનારી કોઈ મહિલાની હસ્તી સુતરાઉ કાપડની સાડી પહેરનારી કોઈ શાળાની શિક્ષિકાની સરખામણીએ વધુ સમજવામાં આવશે. કોઈ કૌભાંડને બહાર લાવનારા સાહસિક પત્રકારના પ્રતાપે તગડો પગાર લેનારા લોકો સમાચારોમાં ચમકતા રહે છે. આવા સામાજિક માળખામાં પૈસા પ્રત્યે આકર્ષણ વધે તે સ્વાભાવિક છે. બીજું કારણ એ છે કે પૈસાથી સામાજિક સુરક્ષાનો અહેસાસ થાય છે. આ નાણાંનાં વાસ્તવિક ફાયદા જરૂર છે, પરંતુ નેતાઓમાં એક વિચિત્ર પ્રકારની સુરક્ષાની ભાવના હોય છે. આ તેમના વ્યવસાયની પ્રકૃતિ છે. કોઈ પણ નેતા એ જાણતો નથી હોતો કે તે હવે પછીની ચૂંટણી જીતવાનો છે કે નહીં. હંમેશાં નેતાઓ દ્વારા મેળવાયેલાં ભ્રષ્ટાચારનાં નાણાંનો ઉપયોગ પાર્ટીના પ્રચાર અભિયાનમાં કરવામાં આવે છે, જેથી હવે પછીની ચૂંટણી જીતી શકાય.
સત્તામાં હોવું કે સત્તામાં ટક્યા રહેવું જેટલું જરૂરી છે, તેટલું વાસ્તવિક નેતા કે આદર્શ નેતા બનવું જરૂરી નથી હોતું. પરિણામસ્વરૂપે આપણા દ્વારા ચૂંટવામાં આવેલા નેતા જ આપણને લૂંટતા રહે છે. અને ભારતીય મતદારોનો એક મોટો વર્ગ ભ્રષ્ટાચાર વગેરે આરોપોની ચિંતા કરતો નથી તથા જાતિ, ધર્મ કે વંશના આધારે પોતાના નેતાને પસંદ કરે છે, આથી આ સિલસિલો જારી રહે છે. જોકે, સામાજિક હેસિયત અને સામાજિક સુરક્ષા માત્ર મગજની ઉપજ છે. સાચી વાત તો એ છે કે જ્યાં સુધી આપણે અંદરથી ખુદની કિંમત નથી સમજતા ત્યાં સુધી આપણી પાસે ભલે ગમે તેટલા પૈસા હોય, આપણે ક્યારેય ‘હેસિયત’ નો અનુભવ નહીં કરી શકીએ. આ કારણે તો ભ્રષ્ટ લોકો પાગલોની જેમ પૈસાનો ઢગલો કરતા રહે છે અને એક દિવસ રંગે હાથ ઝડપાઈ જાય છે.
તેમણે પૈસા કમાવાને બદલે ચોર્યા હોવાને કારણે તેમનો આત્મા અંદરથી તેમને ખૂંચતો રહે છે અને તેઓ શાંતિથી જીવી શકતા નથી. ભ્રષ્ટાચારથી પૈસા કમાઈ શકાય છે, લક્ષ્મી નહીં. લક્ષ્મી તે સંપત્તિ છે જે ઇમાનદારી અને નૈતિકતાથી કમાવામાં આવે. લક્ષ્મી પોતાની સાથે શાંતિ અને સંતોષ લઈને આવે છે. જો તમે ક્યારેય લક્ષ્મીજીનું ચિત્ર જોશો તો તમને તેમાં સોનાના સિક્કા જોવા મળશે, પરંતુ તે પોતે તો કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમના હાથમાં પણ કમળનું ફૂલ છે.
કમળનું ફૂલ શુદ્ધતા, શાંતિ, અધ્યાત્મિક મૂલ્યો અને દુનિયના કીચડમાં પેદા થતું હોવા છતાં પણ સુંદરતાનું પ્રતીક છે. શાંતિ વગર સંપત્તિનું કોઈ મૂલ્ય નથી.
આ દિવાળીએ ધન નહીં પરંતુ લક્ષ્મી માટે પ્રાર્થના કરો. જે લોકો ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ઢગલો કરે છે, તેઓ આ અંતર અંગે અજાણ છે. તેમની દિવાળીની પાર્ટીઓ ભલે ગમે તેટલી આલશિાન હોય, લક્ષ્મી તેમના ઘરે ક્યારેય નહીં આવે.